મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૫)
શ્રીવલ્લભનો પરિવાર : ત્રીજી ભારતયાત્રા પછી શ્રીવલ્લભે સ્થિરવાસ કર્યો. અલ્હાબાદ પાસે ગંગા-યમુના સંગમ-સ્થાનની નજીક ઊંચી ટેકરી જેવો વનપ્રદેશ હતો. કુદરતી સૌંદર્યથી શોભતી એ ભૂમિ દિવ્ય, એકાંત અને શાંત હતી. ત્યાં અડેલ નામનું રમણીય સ્થાન હતું. ત્યાં ઝૂંપડી બાંધી શ્રીવલ્લભે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. ત્યારે તેમની વય એકત્રીસ વર્ષની હતી.એક દિવસ તેમનાં વહુજી શ્રીમહાલક્ષ્મીજીએ કહ્યું હમણાં થોડા દિવસથી હું સેવા કરું છું, ત્યારે શ્રીઠાકોરજી મારી સામે જોઇ મંદ હાસ્ય કરે છે, અને પછી શરમાઇ જઇ નીચી નજર કરે છે. આવું કેમ કરતા હશે? શ્રીમહાપ્રભુજીએ કહ્યું : આપણા ઉપર નજીકના ભવિષ્યમાં શ્રીઠાકોરજી કૃપા કરવાના છે, તેનો આ શુભ સંકેત છે, તમારી કુખે શ્રીઠાકોરજી પ્રગટ થશે. આ જાણી શ્રીમહાલક્ષ્મીજી ઘણાં પ્રસન્ન થયાં. ત્યારબાદ ઈ.સ.૧૫૧૦ ના ભાદરવા વદ બારસના શુભ દિવસે અડેલમાં શ્રીવલ્લભને ત્યાં પ્રથમ લાલનું પ્રાગટ્ય થયું. સૌના હ્રદયમાં કૃષ્ણજન્મોત્સવનો આનંદ છવાઇ ગયો. સૌને એમ જ લાગ્યું, કે જેમ શ્રીનંદરાયજીને ત્યાં પહેલાં શ્રીબળદેવજી પધાર્યા, તેમ અહીં પણ શ્રીપ્રભુ પધાર્યા છે. શ્રીમહાપ્રભુજીએ આ પુત્રનું નામ શ્રીગોપીનાથજી પાડ્યું